Tuesday, December 7, 2021

૧.માનવ અને માનવ સમાજ- એક વિશ્લેષણ


 માનવ અને માનવ સમાજ

સામાજિક એકતાનો મૂળભૂત પાયો, એટલે દરેકને એકમેક પ્રત્યે આદરભાવ અને સહાનુભૂતિ ની દ્રષ્ટિએ જોવા માટેનો એક માણસનો બીજા માણસ સાથેનો માનસિક કરાર!!

આ કરાર વર્ષો પહેલા માનવસમાજમાં હતો, જ્યારે માણસ નાના નાના કબીલામાં રહેતો, રઝળપાટ કરતો અને પોતાના પરિવાર ના સ્ત્રી અને બાળકો તથા કબીલા ના અન્ય લોકો પ્રત્યે આદરભાવ તથા કબીલાના સરદાર કે મુખીયાના નેતૃત્વ અને દેખરેખ હેઠળ જીવન નિર્વાહ કરવાની અનુમતિ સાથે અંકુશમાં રહેતો.

ધીરે ધીરે, અન્ય કબીલાના લોકો એકબીજાના કબીલામાં દખલગીરી કરતા થયા, અને પોતાનો કબીલા અને સરદાર કે એમના નીતિનિયમો શ્રેષ્ઠ છે એવું પોતાના કબીલાના લોકોને ઠસાવતા ગયા આ એ વખતની જરૂરત હતી, પરંતુ થાય છે એવું કે તમે લોકોને જ્યારે કઈંક સમજાવવાનો પ્રયાસ કરો છો ત્યારે તમારામાના જ અન્ય કેટલાક લોકો તમારા વિરુદ્ધ વિચારવાનું આરંભ કરી દે છે...લોકોને શિક્ષિત કરવાના કાર્યનું આ એક નકારાત્મક પાંસુ છે માનવ સ્વભાવ નું એક અભિન્ન અંગ. જેના પરિણામ સ્વરૂપે, જ્યારે કબીલાના સરદાર કે મુખીયાની, કબીલા પર ની પકડ ઢીલી થાય છે ત્યારે વિદ્રોહ વેગ પકડે છે...અને જૂનો સરદાર પોતાની શારીરિક અક્ષમતા કે માનસિક અસહિષ્ણુતાને કારણે હાર સ્વીકારી લે છે, અને આ નવા લોકોને પોતાની રીતે પોતાનો કબીલા, બનાવીને રહેવાની છૂટ આપે છે.  આ રીતે કબીલા ના કબીલા ઠેર ઠેર બનતા ગયા જેનું મૂળ કારણ અંદરોઅંદરની વ્યવહારિક કે માનસિક વિસંગતતા જ હતી.

સમયાંતરે, આમાના કેટલાક કબીલાઓ, માનસિક રીતે વિચાર કરતા થયા, અને માનસિક વિકાસ સાધતા ગયા. હવે આ કબીલામાં સરદાર કે મુખીયો એકલો નહતો પણ એની સાથે બીજા સાહસિક અને બુદ્ધિશાળી લોકો પણ પોતાના કબીલાના વિકાસ કે કલ્યાણ માટે ગતિશીલ બન્યા, અને બીજા કેટલાક લોકો જુના કબીલા સાથે, જૂની રૂઢિઓ સાથે, પોતાની જાતને સીમિત રાખીને, પોતાનું જીવન નિર્વાહ કરતા રહ્યા જેઓ આજની દૃષ્ટિએ અવિકસિત જ રહ્યા.

જેઓ વિચારશીલ હતા, તેઓ બધા એકી સાથે, એકથી વધુ લોકોને સાથે લઈને, વિકાસ સાધતા ગયા અને જીવનને વધુ સુંદર, સહનિય અને ગતિમાન બનાવતા ગયા, આવા વિકસિત, એકરૂપ, સુસંઘટીત અને સંસ્કારી અને સુસંસ્કૃત લોકોનો સમૂહ એટલે આજનો આપણો આજનો પ્રગતિશીલ માનવસમાજ!!

.....વધુ આગલા લેખમાં😊

આભાર.


No comments: